111
પ્રભુના ગુણગાન
યહોવાહની સ્તુતિ કરો.
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
યહોવાહનાં કાર્યો મહાન છે,
જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે
અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે;
યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે.
તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને
પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
તેઓ સદા સ્થિર રખાયેલી છે,
અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે;
પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે;
તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
10 યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.
જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.
તેમની સ્તુતિ સર્વકાળ થશે.