11
ઈશ્વરમાં ભરોસો
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત)
યહોવાહ પર હું ભરોસો રાખું છું;
તમે મારા જીવને કેમ કહો છો કે,
“પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”
કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે.
તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે
એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે,
તો ન્યાયી શું કરી શકે?
યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે;
તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.
યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે,
પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.
તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે;
તે તેઓના પ્યાલાનો ભાગ થશે.
કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે;
જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.