10
ન્યાય માટે પ્રાર્થના
હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો?
સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?
દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે;
પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.
કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે;
લોભીઓ યહોવાહને ધિક્કારે છે* અને તેમની નિંદા કરે છે.
દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ.
તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
તે બધા સમયે સુરક્ષિત રહે છે,
પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી;
તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ;
પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”
તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે;
તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે;
તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે;
તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે;
તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે.
તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે;
લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
11 તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે;
તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”
12 હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો.
ગરીબોને ભૂલી ન જાઓ.
13 દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે?
અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”
14 તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો.
નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે;
તમે અનાથને બચાવો છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો;
તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
16 યહોવાહ સદાસર્વકાળ રાજા છે;
તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
17 હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
18 તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો
તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
* 10:3 10:3 દુષ્ટ લોભીઓની મદદ કરે છે