13
કરારકોશ કિર્યાથ-યારીમથી યરુશાલેમ લાવવામાં આવ્યો
2 શમુ. 6:1-11
દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી. દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ. આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા.” તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.
તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા. કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાહના નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયલીઓ, બાલાહમાં એટલે યહૂદાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.
તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.
જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો. 10 તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો. 11 દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
12 તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?” 13 તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો. 14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.