124
શત્રુઓથી છુટકારો મળતાં સ્‍તુતિગાન
ચઢવાનું ગીત; દાઉદનું.
હવે ઇઝરાયલ એમ કહો,
“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે,
“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં
તેઓ અમને જીવતા જ ગળી જાત.
પાણીની રેલો અમને તાણી જાત,
પાણીએ અમને ડુબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
યહોવાહની સ્તુતિ થાઓ,
જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર,
યહોવાહ અમારા મદદગાર છે.