14
ઈકોનિયામાં
ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો. પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી. પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી. ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા; ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
લુસ્ત્રા અને દેર્બેમાં
લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, 10 એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
11 પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે. 12 તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો. 13 ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
14 પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે, 15 ‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. 16 તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.
17 તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી. 18 પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
19 પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા. 20 પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
સિરિયાનાં અંત્યોખમાં બંને પાછા આવ્યા
21 તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા, 22 શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
23 તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં. 24 પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા. 25 અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા. 26 પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
27 તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું. 28 શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.